જસદણના દેવપરા સીમ વિસ્તારમાં દીપડૉ દૅખાતા ખેડૂતો અને માલધારીઓ ભય સાથે રાતભર જાગતા રહેવા મજબૂર.
જસદણ ફોરેસ્ટ વિભાગ તાકીદે પાંજરૂ ગોઠવે તેવી ઉગ્ર માંગ વાછરડીના શિકારના પ્રયાસથી ફફડાટ
જસદણ તાલુકાના દેવપરા ગામમાં વન્યજીવ અને માનવ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. ગામના સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધતા ખેતીકામ અને પશુપાલન પર નિર્ભર પરિવારોમાં ચિંતાના વાદળો છવાયા છે.
રાત્રે જ્યારે દીપડો વાડીમાં ઘૂસ્યો ત્યારે ખેડૂતની સતર્કતાને કારણે મોટી પશુહાનિ ટળી હતી. દીપડાએ વાછડી પર હુમલો કરતા જ ખેડૂત જાગી ગયા હતા અને અવાજ કરી ગ્રામજનોને એકઠા કર્યા હતા. લોકોના ટોળા એકઠા થતા દીપડો નાસી છૂટ્યો હતો, પરંતુ વાછડીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગામના સરપંચ વિનુભાઈ સદાદીયાએ આ ઘટનાની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે, માત્ર પશુઓ જ નહીં, હવે ખેડૂતોના જીવ પર પણ જોખમ છે. અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. જો દીપડાને વહેલી તકે પકડવામાં નહીં આવે, તો કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે.