રાજકોટમાં ૨૧-૨૨ માર્ચ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનુ ભવ્ય આયોજન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન થશે
મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતીની પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટના આંગણે આગામી તારીખ ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 'સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ' એવા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવશે.
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મહોત્સવમાં મિલેટ (શ્રી અન્ન) માંથી બનેલી વિવિધ વાનગીઓ અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન યોજાશે. આ સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ અને રસાયણમુક્ત કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવશે, જેથી શહેરના નાગરિકો સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ખરીદી શકશે.આ મિલેટ મહોત્સવમાં જિલ્લાના અન્ય વરિષ્ઠ આગેવાનો અને અધિકારીઓ પણ હાજરી આપશે.આ મહોત્સવ બંને દિવસ સવારે ૦૯:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.