error: This Content is protected !!

જનકલ્યાણ શિવવંદના પદયાત્રા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં રામૉદ ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચી યાત્રાને ઉત્સાહભેર આવકારી ફટાકડા અને 'હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું

ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શિવભક્તિ, સેવા અને સંકલ્પની ભાવના સાથે ચાલતી 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા' ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચી હતી, જ્યાં પદયાત્રાને ફટાકડાં ફોડીને ઉત્સાહભેર આવકારો અપાયો હતો આ પદયાત્રા બીજા દિવસે મોટા દડવાથી શરૂ થઈને નાના માંડવા, રામોદ, ઘોઘાવદર થઈને ગોંડલ શહેર ખાતે પહોંચી હતી. છબીલા હનુમાનજી મંદિર નજીક પદયાત્રાનું આગમન થતાં બાળાઓએ પરંપરાગત રીતે સામૈયું કર્યું હતું. 'હર હર મહાદેવ', 'ભારત માતા કી જય'ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વિવિધ સમાજના આગેવાનોએ મંત્રી કુંવરજીભાઈ નું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કર્યું હતું. આ પદયાત્રા ગોંડલ શહેરના જાહેર રસ્તા અને બજારોમાં ફરી હતી. ત્યારબાદ આ યાત્રા જામવાડી ગામ રાત્રિ રોકાણ અર્થે રવાના થઈ હતી.

આ વેળાએ મંત્રી બાવળીયા એ પ્રાસંગિક ઉદ્બોધનમાં પદયાત્રાનો ઉદ્દેશ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક હોવાનો જણાવ્યો હતો. મંત્રીએ પદયાત્રાનું સ્વાગત કરવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો. આ તકે મંત્રી એ પી.જી.વી.સી.એલ.ની વિભાગીય કચેરી, ગોંડલના સ્ટોલની મુલાકાત લીધી હતી આ તકે ગોંડલ શહેર મામલતદાર ડી. ડી. ભટ્ટ, ગોંડલ ગ્રામ્ય મામલતદાર રાહુલભાઈ ડોડીયા, અગ્રણીઓ ભાવેશભાઈ વેકરીયા, રેખાબેન સગારકા સહિત ગ્રામજનો જોડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, મંત્રી કુંવરજીભાઈ એ ઘોઘાવદર ગામમાં દાસીજીવણ સમાધિ મંદિર ખાતે સંતના દર્શન કરીને આરતી ઉતારી હતી. તેમજ યાત્રામાર્ગમાં આવતા મંદિરો-દેરીઓમાં સંતો-મહંતોના દર્શન કર્યા હતાં અને લોકકલ્યાણની પ્રાર્થના કરી હતી.

પદયાત્રામાં બાળકોથી લઈને વડીલો હરખભેર સહભાગી બન્યા

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ઘેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'નું આયોજન કરાયું છે. જેમાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ વયના લોકો હરખભેર સહભાગી બની રહ્યાં છે. આ પદયાત્રા પ્રથમ દિવસે ઘેલા સોમનાથ મંદિરથી પ્રયાણ કર્યા બાદ માધવીપુર, ગોડલાધાર, ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવામાં ફરી હતી. જ્યારે બીજા દિવસે જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ પંથકના ગામોને આવરી લેવાયા હતાં. આમ, યાત્રામાર્ગના વિવિધ તબક્કે ગામલોકો જોડાતા જતા હતાં.