પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આગામી હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત
જિલ્લાના તમામ બાકી રહેતા ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રિકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવેલ છે, જેના અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૨ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.વધુમાં, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આગામી હપ્તાનો લાભ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તેઓને આગામી હપ્તાનો લાભ મળવાપાત્ર થશે નહીં, આથી જિલ્લાના તમામ બાકી રહેલ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.ખેડૂતો આ રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકે છે. તદુપરાંત, ખેડૂતો પોતે મોબાઈલ દ્વારા https://gjfr.agristack.gov.in લિંક પર જઈને અથવા પ્લેસ્ટોર પરથી ફાર્મર રજીસ્ટ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવાની રહેશે.