error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં પૂર વખતે નીચાણવાળા વિસ્તારમાં પાણી નિકાલ માટે ૩૦ હાઈ કેપેસીટી ડીવોટરીંગ પંપ સેટ તૈયાર

૧૨૪૮ તળાવો અને ૮૪૦ ચેકડેમો માર્ગોની મરામત અને બચાવ કામગીરીમાં ઉપયોગી ૧૧ લોડર ૧૩ જૅસીબી ૩૯ ડમ્પર ૨૩ ટ્રેક્ટર કુલ ૧૧૭ સંસાધનો ઉપલબ્ધ

 

 

ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસા દરમિયાન સંભવિત પૂર કે વાવાઝોડા જેવી આપત્તિઓ સામે 'ઝીરો કેઝ્યુઆલિટી'ના અભિગમ સાથે આગળ વધી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના નિર્દેશ મુજબ તંત્ર આગોતરી તૈયારીઓ સાથે સજ્જ છે.

 સિંચાઈ વિભાગ (સ્ટેટ / યોજના / પંચાયત) દ્વારા જિલ્લાના જળાશયો અને કેનાલ નેટવર્કની જાળવણી માટે સઘન કામગીરી કરવામાં આવી છે. રાજકોટની ૫૬ નાની સિંચાઇ યોજનાઓ પૈકી ૨૨ નાની સિંચાઇ યોજનાઓમાં કેનાલ સિસ્ટમને કાર્યરત રાખવામાં આવી છે, સાથે જ ૧૨૪૮ તળાવો અને ૮૪૦ ચેકડેમો પર દેખરેખ રાખવામાં આવે છે. ડેમોની સેફ્ટી ચેક, નદીઓની સાફ-સફાઈ અને ગેટ રિપેરિંગ જેવા પ્રી-મોન્સૂન કામો સમયસર પૂર્ણ કરી લેવાયા છે. કટોકટીના સમયે સંપર્ક તૂટે નહીં તે માટે ડેમ સાઇટ પર આધુનિક વાયરલેસ સેટ પણ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત / શહેર / જિલ્લા) વાહન વ્યવહારની સુવિધા જાળવી રાખવા માટે ખડેપગે છે. રસ્તાઓ અને નાલા-પુલિયાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 'ક્રિટિકલ' જણાતા સ્ટ્રક્ચર્સનું તાત્કાલિક સમારકામ કરાયું છે. ભારે વરસાદમાં રસ્તા ધોવાઈ જવાના કિસ્સામાં વૈકલ્પિક રૂટ્સની યાદી તૈયાર છે. આ ઉપરાંત, ઈમરજન્સી સેવા માટે જે.સી.બી., ડમ્પર, ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનો ઓન-કોલ ઉપલબ્ધ રહે તે માટે કોન્ટ્રાક્ટરોના સંપર્ક નંબર સહિત અદ્યતન ડેટાબેઝ પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ હસ્તક હાલમાં વિવિધ પ્રકારના કુલ ૧૧૭ સંસાધનો ઉપલબ્ધ છે, જે ચોમાસા દરમિયાન માર્ગોની મરામત અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સંસાધનોમાં ૪૯ ડમ્પર અને ૨૩ ટ્રેકટર સામેલ છે, જે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં કાટમાળ ખસેડવા અને સામગ્રીની હેરફેર માટે ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, રસ્તાઓ પરથી અવરોધો હટાવવા અને ખોદકામ માટે ૧૩ જે.સી.બી. તથા ૧૧ લોડર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તેમજ કટોકટીના સમયે પાણી પુરવઠો જાળવી રાખવા અથવા અન્ય જરૂરી કાર્યો માટે ૧૧ વોટર ટેન્કરની સુવિધા પણ છે. આમ, આ સંસાધનોની મદદથી ચોમાસા દરમિયાન ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિમાં માર્ગ વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવા માટે વિભાગે પૂરતી વ્યવસ્થા કરી લીધી છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ) દ્વારા આફતના સમયે પણ નાગરિકોને શુદ્ધ પેયજળ મળી રહે તેવું આયોજન કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીના ઝડપી નિકાલ માટે સરકારી વિભાગો સાથે સંકલન સાધીને ૩૦ જેટલા હાઇ-કેપેસિટી ડીવોટરીંગ પંપ સેટ્સ તૈયાર રાખવામાં આવ્યા છે. પૂર કે વાવાઝોડા જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.