error: This Content is protected !!

રાજકોટ જિલ્લાના ટોલનાકામાં સીસીટીવી લગાવી તમામ વાહનોની નોંધણી કરવી ફરજીયાત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નુ જાહેરનામું

ત્રાસવાદીઓ અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા હાઇવે પાસેના પેટ્રોલપંપો,સીનૅમા, હોટલો વેપાર ધંધા મંદિરો વગેરેમાં પણ સીસીટીવી લગાવવાના રહેશે

 

 

ત્રાસવાદીઓ/અસામાજિક તત્‍વોની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા રાજકોટના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ જે.એચ.બારોટ દ્વારા ટોલનાકા તેમજ હાઇવે પાસેના ધંધાકીય સ્થળોએ સીસીટીવી ફરજીયાત લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

રાજકોટ જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલા ટોલનાકાઓના મેનેજરો, વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલટેકસ વસુલાત માટે કોન્‍ટ્રાકટ આપનારા સબંધિત સત્તાધિકારીઓ સહિત સબંધિતોએ જાહેરનામાનુ પાલન કરવાનું રહેશે.

જે મુજબ ટોલનાકામાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્‍લેટ અને વાહનના ચાલક સ્‍પષ્‍ટ રીતે દેખાય, તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી, ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીગ તથા વાહનોના રજીસ્‍ટ્રેશનની સંપૂર્ણ વિગતોની નોંધણી કરવાની રહેશે. 

નવા ટોલનાકા સ્થાપિત કરવામાં આવે તો તેમને પણ આ હુકમ લાગુ થશે. 

(૧) રાષ્‍ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા, (૨) રાષ્‍ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા, (૩) રાષ્‍ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી,પોરબંદર-રાજકોટ ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા તેમજ (૪) રાજય ધોરીમાર્ગ, રાજકોટ-જામનગર-વાડીનાર પડધરી તાલુકાના વણપરી ગામ પાસે રાજકોટ જિલ્‍લા માર્ગ અને મકાન વિભાગ ધોરીમાર્ગ તેમજ રાજકોટ ગ્રામ્યના હાઈવે ઉપરના પેટ્રોલપંપ, હોટલો, સિનેમા હોલ ઉપર તેમજ જિલ્લાના મોટા મંદિરો, સાયબર કાફે, જવેલર્સની દુકાનો અને હોસ્ટેલો ઉપર સ્થાનિક માલિકો/સંચાલકો દ્વારા બિલ્ડીંગની અંદર અને બહાર જાહેર રોડને કવર કરે, તે રીતે સારી કવોલિટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.

આવા સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન રાખવા તેમજ કેમેરા પુરતી સંખ્યામાં રાખવા. જેથી, વ્યકિત કે વાહન આઈડેન્ટીફાઈ થઈ શકે. સી.સી.ટી.વી. કેમેરા રાત્રિ દરમિયાન રેકોર્ડીંગ થઈ શકે, તેવી કવોલિટીના રાખવા અને ડિજીટલ રેકોર્ડીંગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેકઅપ ૨૦ (વીસ) દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે. તેમજ સલામતી વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

આ હુકમ રાજકોટ પોલીસ કમિશ્‍નરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ જિલ્‍લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.