પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી કુંવરજીભાઇ દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી સાંસદ રૂપાલા પણ જોડાયા હતા
જસદણ વિંછીયા સહિત જિલ્લામાં સિઝનનો ૧૭.૩૩ ટકા વરસાદ આટકોટમાં વીજળી પડતા ગૌમાતા મૃત્યુ વિડિયો કોન્ફરન્સ થકી માહિતી મેળવી
જકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ શ્રમ, કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રની વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સમીક્ષા યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ થકી જિલ્લામાં બચાવ-રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ અને સંસાધનોની વિગતવાર માહિતી મેળવતા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.
જિલ્લામાં આજની સ્થિતિએ છેલ્લા ૩૦ વર્ષની વરસાદની સરેરાશ ૭૪૧ મી.મી. સામે આજદિન સુધી સરેરાશ ૧૨૮.૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે, જે કુલ વરસાદના ૧૭.૩૩ ટકા છે. પડધરી તાલુકામાં ૬.૨૮ ટકા, રાજકોટમાં ૧૩.૧૫ ટકા, લોધિકામાં ૨૦.૬૮ ટકા, કોટડા સાંગાણીમાં ૧૬.૦૮ ટકા, જસદણમાં ૨.૨૫ ટકા, ગોંડલમાં ૨૫.૫ ટકા, જામકંડોરણામાં ૧૫.૫૧ ટકા, ઉપલેટામાં ૨૦.૫૯ ટકા, ધોરાજીમાં ૩૨.૫૭ ટકા, જેતપુરમાં ૨૦.૩૯ ટકા અને વિંછીયામાં ૬.૦૮ ટકા વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન અત્યાર સુધી થયેલા નુકસાનની વિગતોમાં જણાવાયું હતું કે, જસદણ તાલુકાના આટકોટ ગામે વીજળી પડવાના કારણે એક પશુનું (ગાય) મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ધોરાજી તાલુકાના ભોળા ગામે પ્રાથમિક શાળાની દીવાલ ધરાશાયી થતાં એક સરકારી મકાનને નુકસાન થયું છે. જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ કે મકાનોને નુકસાન થવાના અહેવાલ નથી.
આ બેઠકમાં સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા