જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રીના માર્ગદર્શન અનુસાર સૌરાષ્ટ્રમાં સૌની (SAUNI) યોજના હેઠળ આવેલા પીવાના પાણીના જળાશયોને અગ્રતાના ધોરણે ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી આગામી દિવસોમાં પીવાના પાણીની કોઈ અછત સર્જાય નહીં આ સંદર્ભે રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તેમજ ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સિંચાઈ વિભાગના અધિકારીઓની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ચોમાસા પૂર્વે સિંચાઈ વિભાગના તમામ ચાલી રહેલા વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ સૌની યોજના અંતર્ગત છોડવામાં આવતા પાણીનું યોગ્ય અને સમાન વિતરણ થાય અને નાગરિકોને પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ રહે તે માટે જરૂરી આયોજન સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી સમીક્ષા બેઠકમાં ખાસ કરીને સાણથલી, પ્રતાપપુર, ડોડીયાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સૌની યોજનાના નેટવર્ક સાથે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ગામોના નાગરીકોને સિંચાઈનો લાભ ઝડપથી મળી રહે તે માટે વહીવટી અને ટેકનિકલ સ્તરે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.